ગોંડલના રીબડામાં સહકારી અગ્રણીનો હુંકાર: ‘જયરાજસિંહ પરિવાર સિવાય કોઈ ચૂંટણી લડશે તો હું જીતાડી દઈશ જીતાડી ન શકું તો અંબાજી મંદિરે આપઘાત કરી લઈશ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સૌ કોઈની નજર ગોંડલ બેઠક પર છે કારણ કે, ટિકિટને લઈને ગોંડલ જૂથ અને રિબડા જૂથ બંને એકબીજાની સામે આવ્યા છે. હાલમાં આ વિવાદ વંટોળે ચડ્યો છે. આ બેઠક પર વિવાદ શા માટે થઈ રહ્યો છે, તેના વિશે માહિતી જાણીએ તો ભાજપના તત્કાલીન ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ચૂંટણી લડવા માટે કાનૂની રીતે સક્ષમ નહોતા આ જ કારણે તેમણે તેમના પત્ની ગીતાબાને ટિકિટ અપાવી હતી અને તેઓ વિજયી બન્યા હતા, હવે એકવાર ફરી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ વર્ષે જયરાજસિંહ તેમના પુત્ર ગણેશને ટિકિટ અપાવવા તખ્તો તૈયાર કરી રહ્યાં છે.
જયરાજસિંહના સાથી ગણાતા રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા હવે સામે આવ્યા છે, કારણ કે એઓ પોતાના પુત્ર રાજદીપસિંહને ટિકિટ અપાવવા મેદાને પડ્યા છે. જેથી ઘટના એવી બની છે કે, હાલમાં બળિયા જૂથ આ મુદ્દે સામસામે આવી ગયા છે.થોડા દિવસો પૂર્વે કડવા પાટીદાર સમાજના સંમેલનમાં જયરાજસિંહે રીબડા જૂથની દાદાગીરી અને રીબડામાં ઉદ્યોગપતિઓને ઉદ્યોગ માટે જમીન મેળવવા માટે રીબડા જૂથને કેટલી રકમ ચૂકવવી પડે છે તેવા આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપના પડઘા હજુ પણ યથાવત જ હતા.
આજ રોજ રીબડા જૂથે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપના સહકારી આગેવાન જયંતિ ઢોલએ મીડિયા સામે વિધાનસભાની ચૂંટણીની બેથક અંગે ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. પત્રપરિસદ દરમિયાન તેમણે જણાવેલ કે,’જયરાજસિંહ પરિવાર સિવાય કોઈ ચૂંટણી લડશે તો હું જીતાડી દઈશ, જીતાડી ન શકું તો અંબાજી મંદિરે આપઘાત કરી લઈશ’ ગોંડલ વિધાનસભા બેઠક પર રીબડા પંથકના મતને કારણે ભાજપને જીત મળે છે જેથી પાર્ટી આ બાબતે વિચાર કરે તે જરૂરી છે. હું છેલ્લા 40 વર્ષથી ભાજપ માટે કામ કરું છું.
જ્યાં ભાજપને પોતાના ગામમાં કોઈ ઘૂસવા નહોતું દેતું, ત્યાં જઈને મેં ભાજપનો પ્રચાર-પ્રસાર કર્યો છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણી વખતે પણ મેં જયરાજસિંહની જીત માટે મતની ભીખ માંગી હતી છતાં તેમણે એ વાતને યાદ ન રાખી એટલે જ હવે હું મીડિયાની સાક્ષીમાં કહું છું કે, જો હું ઉમેદવારને જીતાડું નહિ તો માંડવી ચોકમાં આવેલ માતાજીના મંદિરે અંતિમ પગલું ભરી લઈશ.
ગોંડલના મોવિયામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પાટીદાર સંમેલનમાં એવું નિવેદન આપ્યું હતું કે,રીબડાની અંદર જમીન કેવી રીતે વેચાય છે એ સૌ જાણે છે. આ મામલે આજે પત્રકાર પરિષદમાં રીબડા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, અમારી પર રીબડા પરિવારનું કોઇ દબાણ નથી. રીબડા પરિવારને કારણે અમારી ઇન્ડસ્ટ્રીઝ સુરક્ષિત છે.જમીન વેચાણમાં પણ કોઇ દલાલી નથી કરતું અને અમારે કંઇ આપવું પડ્યુ નથી.
બંને જૂથ વચ્ચે ચાલુ થયેલા કોલ્ડવોરને શાંત કરવા અને બંને જૂથ વચ્ચે સમાધાન કરાવવા ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોએ પ્રયાસ કર્યો હતો, અને તેમાં અનિરુદ્ધસિંહે ગોંડલ બેઠક પર ભાજપમાંથી રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા, અથવા તેમના પુત્ર રાજદીપસિંહ અને જો એ બંનેમાંથી કોઇ નહીં તો લેઉવા પટેલના કોઇપણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી મોવડી મંડળ સુધી રજૂઆત પહોંચાડી હતી, મોવડી મંડળ હજુ કોઇ નિર્ણય જાહેર કરે તે પહેલા આ બંને જૂથ એકબીજા સામે વધુ આક્રમક બન્યા છે.